સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 5 ભારત : આઝાદી તરફ પ્રયાણ: સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ આપો:
-
(1) 'હિન્દ છોડો' ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો.
ઈ.સ. 1942માં ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી. આથી ભારતીયો હતાશ બની રોષે ભરાયા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરવા અને નવી આખરી લડત લડવા તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઑગસ્ટ, 1942ની રાત્રે 'હિન્દ છોડો'નો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીનું સૂત્ર હતું કે, 'કરેંગે યા મરેંગે'.
ચળવળના વિવિધ બનાવો:
1. નેતાઓની ધરપકડ:
- (1) ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી.
- (2) વર્તમાનપત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને પ્રાંતિક તથા જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા.
2. હડતાલો:
- (1) દેશનાં ગામો તથા શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરેએ આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો.
- (2) જમશેદપુરના લોખંડના કારખાનામાં, મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાલો પડી.
- (3) અમદાવાદમાં કાપડની 75 મિલોના 1.40 લાખ મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાલ પાડી.
- (4) શાળા-કૉલેજોમાં હડતાલો પડી અને અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યા.
3. ભાંગફોડની પ્રવૃત્તિઓ:
- (1) શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ અપનાવતાં લોકોનો ક્રોધ ભભૂકી ઊઠ્યો.
- (2) લોકોનાં ટોળાંએ તાર, ટેલિફોન, રેલવે લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઑફિસો, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળા-કૉલેજોનાં મકાનો તોડી નાંખવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા.
- (3) રેલવેને સૌથી વધુ નુકસાન થયું અને કેટલાક વિસ્તારોમાં લોકોએ બૉમ્બનો પણ ઉપયોગ કર્યો.
4. દમન નીતિ અને પરિણામ:
- (1) સરકારે દમન નીતિથી લડતને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. 70,000 કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા, 538 વાર ગોળીબાર કરવામાં આવ્યા અને 1028 માણસોએ જાન ગુમાવ્યા.
- (2) લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી, જેનાથી બ્રિટિશ સરકાર પર એવી છાપ પડી કે હવે વધુ સમય ભારતમાં શાસન ટકવી શકાશે નહીં.
- (3) 'હિન્દ છોડો' શબ્દ લોકોએ સ્વયંસ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. ત્યાર બાદ પાંચ વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી.
-
(2) આઝાદ હિન્દ ફોજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરીની વિગત દર્શાવો.
રાસબિહારી બોઝે બધાં મંડળોને સાંકળતી એક સંસ્થા 'ઇન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ'ની સ્થાપના કરી અને ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિંદ ફોજ ઊભી કરવાનો નિર્ણય લીધો. 1943માં સુભાષચંદ્ર બોઝને આ ફોજની સર્વોચ્ચ નેતાગીરી સંભાળી લેવાનું આમંત્રણ મળ્યું. સુભાષચંદ્ર બોઝને 'નેતાજી' નું હુલામણું નામ આપવામાં આવ્યું.
આઝાદ હિન્દ ફોજની મુખ્ય કામગીરી:
- (1) નેતૃત્વ અને સૂત્રો: નેતાજીએ સૈનિકોને 'ચલો દિલ્લી', 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા' અને 'જય હિંદ'નાં સૂત્રો આપ્યાં.
- (2) આરઝી હકૂમતની રચના: નેતાજીએ પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા સિંગાપુરમાં કામચલાઉ સરકાર (આરઝી હકૂમત)ની રચના કરી. તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. આ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા આપી.
- (3) રાષ્ટ્રીય પ્રતીકો: આ સરકારે હિંદી ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગો ધ્વજ સ્વીકાર્યો.
- (4) પ્રાદેશિક વિજયો: નેતાજીએ 1943માં અંદમાન-નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે 'શહીદ' અને 'સ્વરાજ્ય' નામ આપ્યા.
- (5) લશ્કરી આક્રમણ: નેતાજીના નેતૃત્વ હેઠળની સૈન્ય ટુકડીઓએ રંગૂન, પ્રોમ, કોહીમા અને ઇમ્ફાલ જેવા પ્રદેશો કબજે કર્યા.
- (6) સર્વસ્વનું બલિદાન: તેમણે દક્ષિણપૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે સર્વસ્વનું બલિદાન આપવાની માગણી કરી.
જોકે, દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકાએ જાપાનના હીરોશીમા અને નાગાસાકી શહેરો પર બૉમ્બવર્ષા કરતાં જાપાને શરણાગતિ સ્વીકારી, જેથી આઝાદ હિંદ ફોજને મળતી જાપાનની સહાય બંધ થઈ. આ કપરી પરિસ્થિતિમાં નેતાજીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું. નેતાજીના અવસાન બાદ પણ આઝાદ હિંદ ફોજના પકડાયેલા સેનાપતિઓ પર રાજદ્રોહનો કેસ ચલાવાયો, જેના પ્રચંડ લોકવિરોધને કારણે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરવી પડી. આમ, આઝાદ હિન્દ ફોજની કામગીરી અને નેતાજીના બલિદાને ભારતની આઝાદીને નજીક લાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો.
૨. ટૂંક નોંધ લખો:
-
(1) સાયમન કમિશન
મોન્ટફર્ડ (મોન્ટેગ્યુ – ચેમ્સફર્ડ 1919)ના સુધારામાં જોગવાઈ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. પરંતુ બે વર્ષ પહેલાં ઈ.સ. 1927માં જ સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી.
સાયમન કમિશનની રચના અને વિરોધ:
- (1) સર જહોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ આ કમિશનમાં સાત સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજ હતા.
- (2) ભારતીયોએ આ કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભલામણ કરી, પરંતુ અંગ્રેજોએ તે સ્વીકારી નહીં.
- (3) ભારતીયોએ આ કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું, કારણ કે તેમને લાગ્યું કે હિન્દીઓનાં દુઃખ-દર્દ હિન્દી સમજી શકે.
વિરોધ અને દમન:
- (1) સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાળ, સભા, સરઘસ, 'સાયમન ગો બેક'ના નારા અને કાળા વાવટાઓ ફરકાવીને વિરોધ કર્યો.
- (2) સરકારે આ વિરોધ સામે દમનનીતિ વાપરી. લાલા લજપતરાય, ગોવિંદવલ્લભ પંત અને જવાહરલાલ નેહરુ પણ સરકારી દમનનીતિનો ભોગ બન્યા.
- (3) લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય બાદ તેમનું અવસાન થયું.
- (4) લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાંડર્સની હત્યા કરવામાં આવી.
-
(2) પૂર્ણ સ્વરાજ્યની માગણી
સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વઝીર બર્કનહેડે પડકાર ફેંક્યો કે હિંદના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ પડકારના જવાબમાં કોંગ્રેસે મોતીલાલ નેહરુના પ્રમુખપદે નેહરુ કમિટીની રચના કરી, જેનો અહેવાલ અંગ્રેજોએ સ્વીકાર્યો નહીં.
માગણી અને ઠરાવ:
- (1) આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા, જેઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા.
- (2) સાંસ્થાનિક સ્વરાજ્ય (ડોમિનિયન સ્ટેટ્સ)થી યુવાવર્ગને સંતોષ ન હતો.
- (3) પરિણામે, 1929માં રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નેહરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણસ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
- (4) ત્યાર બાદ 26 જાન્યુઆરી, 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઊજવવામાં આવ્યો.
- (5) આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી દર વર્ષે 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવવાનું નક્કી થયું. આ દિવસનું મહત્ત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું.
-
(3) દાંડીકૂચ
સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.
દાંડીયાત્રા (12 માર્ચથી 6 એપ્રિલ, 1930):
- (1) અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી 12મી માર્ચ, 1930ના રોજ ગાંધીજીના નેતૃત્વ નીચે દાંડીકૂચની શરૂઆત થઈ.
- (2) આશ્રમથી દાંડીનું અંતર આશરે 370 કિમી હતું. ગાંધીજીએ સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત 78 સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ 5મી એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચ્યા.
- (3) ગાંધીજીએ ભાટ મુકામે કહ્યું હતું કે, "કાગડા-કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું."
- (4) આ યાત્રા જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકોએ રસ્તાની સફાઈ કરી, તોરણો બાંધીને શણગારતા. આ કૂચથી ભારતના લોકોમાં અપૂર્વ જાગ્રતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય થયું.
મીઠાનો કાયદો તોડવો:
- (1) 6 એપ્રિલ, 1930ના રોજ સવારે બરાબર 6:30 કલાકે દરિયાકિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ ગાંધીજીએ મીઠાનો અન્યાયી કાયદો તોડયો.
- (2) તેમણે કહ્યું, 'મૈને નમક કા કાનૂન તોડ દિયા.' અને 'હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું.'
- (3) શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડીકૂચને 'મહાભિનિષ્ક્રમણ' સાથે સરખાવે છે.
આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોરડો વીંઝ્યો, છતાં લડતનું જોર ઘટયું નહિ. દાંડીકૂચથી અસહકારનાં આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા.
-
(4) સુભાષચંદ્ર બોઝ
સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. તેઓ કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી પરીક્ષા પાસ કરીને વધુ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાંથી ખૂબ અઘરી ગણાતી ICS (ઇન્ડિયન સિવિલ સર્વિસ)ની પરીક્ષા ચોથા નંબરે ઉત્તીર્ણ કરી.
રાજકીય પ્રવૃત્તિઓ:
- (1) તેઓ હિંદી મહાસભાના સક્રિય કાર્યકર્તા બન્યા અને 'રાષ્ટ્રીય સ્વરાજ પક્ષ'માં જોડાઈને (1923) ટૂંક સમયમાં જ યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા.
- (2) સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા હતા.
- (3) 1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે હરિપુરા (સુરત) કોંગ્રેસ અધિવેશનના પ્રમુખસ્થાને નિમણૂક પામ્યા.
- (4) ગાંધીજીના વિચારો સાથે મતભેદ થતાં તેમણે કોંગ્રેસ છોડી અને 'ફોરવર્ડ બ્લૉક' નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.
ભારતમાંથી પલાયન અને આઝાદ હિન્દ ફોજ:
- (1) 1940માં તેમને હિંદ સંરક્ષણ ધારાને આગળ ધરીને કારાવાસમાં પૂરવામાં આવ્યા, જ્યાં તબિયત લથડતાં તેમને નજરકેદ રાખવામાં આવ્યા.
- (2) તેઓ પઠાણના છૂપાવેશે કોલકાતાથી પેશાવર, કાબૂલ, ઈરાન, રશિયા થઈને બર્લિન (જર્મની) પહોંચ્યા (1942).
- (3) જર્મનીમાં બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ જગાવવા અનુરોધ કર્યો.
- (4) 1943માં તેઓ સિફતપૂર્વક જાપાન પહોંચ્યા અને રાસબિહારી બોઝના આમંત્રણથી 'ઇન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ'ની સર્વોચ્ચ નેતાગીરી સંભાળી. રાસબિહારી બોઝે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (INA) 'આઝાદ હિન્દ ફોજ'ના વડા તરીકે નિવૃત્તિ લઈ નેતાજીની નિમણૂક કરી.
- (5) તેમને 'નેતાજી'નું હુલામણું નામ મળ્યું અને તેમણે 'ચલો દિલ્લી', 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા' અને 'જય હિંદ'નાં સૂત્રો આપ્યાં.
આઝાદ હિન્દ ફોજની કામગીરી અને અંતિમ તબક્કાની વિગત અન્ય પ્રશ્નમાં આપેલી છે. 18 ઑગસ્ટ, 1945ના રોજ વિમાન અકસ્માતમાં તેમનું અવસાન થયું હોવાનું માનવામાં આવે છે.
૩. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:
-
(1) ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો ?
ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો કારણ કે તેમાં સાત સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજ હતા, જેમાં કોઈ પણ હિન્દી સભ્યને સામેલ કરવામાં આવ્યો ન હતો. -
(2) ‘આઝાદ હિંદ ફોજ'નાં સૂત્રો જણાવો.
‘આઝાદ હિંદ ફોજ'નાં સૂત્રો 'ચલો દિલ્લી', 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા' અને 'જય હિંદ' હતાં. -
(3) માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ ?
માઉન્ટ બેટન યોજના 3 જૂન, 1947ના રોજ રજૂ થઈ. -
(4) અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિંદના પ્રથમ હિંદી ગવર્નર જનરલ કોને નીમવામાં આવેલા ?
અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિંદના પ્રથમ હિંદી ગવર્નર જનરલ ચક્રવર્તી સી. રાજગોપાલાચારીને નીમવામાં આવેલા.
૪. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
-
(1) સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું ?
(C) 7 -
(2) દાંડીકૂચ ક્યારે કરવામાં આવી.
(C) 12 માર્ચ 1930 -
(3) કઈ વ્યક્તિ દાંડીકૂચને “મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?
(A) મહાદેવભાઈ દેસાઈ -
(4) ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું ?
(A) સંસ્થાનિક સ્વરાજ્ય -
(5) મોન્ટફર્ડના સુધારામાં સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી ?
(B) 10 વર્ષે -
(6) સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું ?
(B) લાલા લજપતરાય -
(7) ‘નેતાજી'નું હુલામણું નામ કોને મળ્યું હતું ?
(A) સુભાષચંદ્ર બોઝ -
(8) હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા ?
(C) માઉન્ટ બેટન
આ પ્રકરણનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે.