સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ: સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો:
-
(1) વૈશ્વિક મહામંદી (1929-32)ના ઉદ્ભવની અસરો જણાવો.
પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની આર્થિક સમસ્યાઓનો અંત આવશે તેવી ધારણા ખોટી પડી. 24 ઑક્ટોબર, 1929ના રોજ અમેરિકાના 'વૉલ સ્ટ્રીટ' શેરબજારમાં શેરના ભાવ અત્યંત ભયજનક રીતે ઘટવા માંડ્યા, જેને 'વૉલ સ્ટ્રીટ સંકટ' કહેવામાં આવ્યું. આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી, જેના પરિણામે વૈશ્વિક મહામંદીનું સર્જન થયું.
વૈશ્વિક મહામંદીની મુખ્ય અસરો નીચે મુજબ હતી:
- (1) વિશ્વનાં મોટા ભાગનાં રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા.
- (2) ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી પડી.
- (3) તેનો પ્રભાવ વિશ્વનાં અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર-ઉદ્યોગ પર પડ્યો.
- (4) અમેરિકા જેવાં સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને કડક નિયંત્રણો લાદવા પડ્યા.
- (5) વિશ્વ વ્યાપાર ઘટીને લગભગ અડધો થઈ જવા પામ્યો.
- (6) મહામંદીના કારણે ઘણા દેશોમાં લોકશાહીમાંથી વિશ્વાસ ઊઠી ગયો અને સરમુખત્યારશાહીનો ઉદય થયો, જે દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જનાત્મક પરિબળ બન્યું.
-
(2) દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેનાં જવાબદાર પરિબળોની ચર્ચા કરો.
પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલ વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ માટેનાં બીજ વવાઈ ગયાં હતાં. ત્યાર બાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ. તેના મુખ્ય પરિબળો નીચે મુજબ છે:
- 1. ઉગ્ર રાષ્ટ્રવાદ: પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. જર્મનીમાં હિટલરે વર્સેલ્સની સંધિના અપમાનને ભૂલ્યા વગર ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા. ઇટાલીમાં મુસોલિનીએ પણ ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું, જેનાથી વિશ્વશાંતિ જોખમરૂપ બની.
- 2. જૂથબંધીઓ: પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સે જર્મનીના ભયથી બેલ્જિયમ, પોલૅન્ડ, રૂમાનિયા અને ઝેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી "રોમ-બર્લિન-ટોકિયો" ધરીની રચના કરી. બીજી બાજુ ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિનઆક્રમક સંધિ કરી. આમ, વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું.
- 3. લશ્કરવાદ: પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણીના પ્રયાસો છતાં યુરોપનાં રાષ્ટ્રોએ શસ્ત્રીકરણની હરીફાઈ કરી. દરેક રાષ્ટ્રમાં શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું અને એકબીજાથી ચડિયાતાં યુદ્ધશસ્ત્રો બનાવવામાં આવ્યાં. રશિયા અને જર્મની જેવાં કેટલાંક રાષ્ટ્રોએ ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી. લશ્કરી તાકાત વધારવાના આ પ્રયાસોથી યુદ્ધનું વાતાવરણ વધુ ઉગ્ર બન્યું.
- 4. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા: વિશ્વશાંતિ માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં. રાષ્ટ્રસંઘ પાસે પોતાનું લશ્કર નહોતું. સભ્ય રાષ્ટ્રો પોતાનો ઝઘડો રાષ્ટ્રસંઘ પાસે લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. ઇટાલી, જાપાન અને જર્મની જેવા દેશો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા અને રાષ્ટ્રસંઘ તેમને રોકી શક્યો નહીં. આ જૂથબંધીઓ અટકાવવામાં રાષ્ટ્રસંઘની નિષ્ફળતા મુખ્ય કારણ બની.
- 5. વર્સેલ્સની સંધિ: પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જર્મની પર અપમાનજનક અને અન્યાયી વર્સેલ્સની સંધિ ઠોકી બેસાડવામાં આવી. જર્મનીના સરમુખત્યાર ઍડોલ્ફ હિટલરે આ સંધિને 'કાગળનું ચીંથરું' કહીને ફગાવી દેવાની હાકલ કરી, જેનાથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. આ સંધિથી જાપાનને પણ અસંતોષ હતો. આમ, વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધનાં બીજ રોપાયાં હતાં.
- 6. ઍડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષા: હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. તેણે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. ઑસ્ટ્રિયા, ઝેકોસ્લોવેકિયા અને લિથુઆનિયાના મેમેલ બંદર પર કબજો મેળવીને તેણે વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કર્યું, જે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતું.
- 7. જર્મનીનું પોલૅન્ડ પર આક્રમણ (તાત્કાલિક પરિબળ): 1 સપ્ટેમ્બર, 1939ની વહેલી પરોઢે જર્મનીએ શાંત પોલૅન્ડ પર આક્રમણ કર્યું. આ નાનકડી ચિનગારીએ વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કર્યો અને દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીની ચેતવણીની ઉપેક્ષા કરતાં યુદ્ધમાં ઝંપલાવ્યું.
-
(3) દ્વિતીય વિશ્વયુદ્ધનાં પરિણામો લખો.
દ્વિતીય વિશ્વયુદ્ધનાં મુખ્ય પરિણામો નીચે મુજબ છે:
- 1. આર્થિક પરિણામો: આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો. યુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો અને કીમતી સંપત્તિનો નાશ થયો. યુદ્ધમાં ઉપયોગી શસ્ત્રસરંજામના ઉત્પાદનને વધારે મહત્ત્વ આપવાથી જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ઊભી થઈ, ઉત્પાદન ઘટ્યું અને ફુગાવો વધ્યો. લોકોનું આર્થિક જીવન અસ્ત-વ્યસ્ત થયું અને વિશ્વનાં રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા.
- 2. ચીનમાં સામ્યવાદની સ્થાપના: રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિથી વિશ્વભરના રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ. આ સંજોગોમાં માઓ-ત્સે-તુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે ઈ.સ. 1949માં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ.
- 3. ઠંડું યુદ્ધ (Cold War)નો જન્મ: દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને સોવિયેત રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું. લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો બન્યા. આ બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાક્ યુદ્ધો અને વિચાર યુદ્ધો આદર્યા, તેણે શસ્ત્ર વગરના 'ઠંડાયુદ્ધ'ની સ્થિતિનું સર્જન કર્યું.
- 4. સંયુક્ત રાષ્ટ્રો (U.N.)ની સ્થાપના: પ્રથમ વિશ્વયુદ્ધના અંતે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ નિષ્ફળ જતાં, દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી સંયુક્ત રાષ્ટ્રો (U.N.)ની સ્થાપના 24 ઑક્ટોબર, 1945ના રોજ કરવામાં આવી.
૨. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:
-
(1) સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી ?
દ્વિતીય વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાએ માનવજાતને શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની જરૂરિયાત સમજાવી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ સ્થપાયેલો રાષ્ટ્રસંઘ નિષ્ફળ જતાં, ભવિષ્યમાં યુદ્ધો ન થાય અને વિશ્વમાં કાયમી શાંતિ, સલામતી તથા સહઅસ્તિત્વ જળવાઈ રહે તેવા ઉદ્દેશથી 24 ઑક્ટોબર, 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રો (U.N.)ની સ્થાપના કરવામાં આવી.
-
(2) સંયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક-સામાજિક સમિતિની સમજ આપો.
સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિને ઈકોસોક (Ecosoc) પણ કહે છે. તેમાં 54 સભ્યો હોય છે, જેમને સામાન્ય સભા ત્રણ વર્ષ માટે ચૂંટે છે.
આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વનાં રાષ્ટ્રોની પ્રજાઓનું જીવનધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. આ સમિતિ અને તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે. જેમ કે, WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા), IMF (આંતરરાષ્ટ્રીય બૅન્ક તથા નાણાં ભંડોળ), FAO (આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા), ILO (આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા), UNICEF (બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ) અને UNESCO (શૈક્ષણિક-વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા) વગેરે તેના મુખ્ય કાર્યો છે.
૩. ટૂંક નોંધ લખો:
-
(1) સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા
સામાન્ય સભા એ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે. તે બધાં સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ પાંચ પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ મતદાન વખતે દરેક રાષ્ટ્રનો એક જ મત ગણવામાં આવે છે.
સામાન્ય સભાનાં મુખ્ય કાર્યો નીચે મુજબ છે:
- (1) આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા, સલાહ, સૂચનો કે ભલામણો કરી શકે છે.
- (2) મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી.
- (3) રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવો.
- (4) સામાન્ય બાબતોમાં નિર્ણય બે-તૃતીયાંશ સભ્યોની બહુમતીથી લેવાય છે.
-
(2) સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ
સલામતી સમિતિ એ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્ત્વનું અંગ છે. તેમાં કુલ 15 સભ્યો છે, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ પાંચ કાયમી સભ્યો છે અને બાકીના 10 બિનકાયમી સભ્યો છે.
આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. તે રાષ્ટ્રોના કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે.
કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે પાંચ કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક મત નકારાત્મક હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. પાંચ કાયમી સભ્ય રાષ્ટ્રની આ સત્તાને 'વીટો' (નિષેધાધિકાર) કહે છે. આ સમિતિ વિશ્વ શાંતિ જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
૪. એક વાક્યમાં જવાબ આપો:
-
(1) દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી ?
દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ મુખ્યત્વે વર્સેલ્સની સંધિ જવાબદાર હતી. -
(2) જર્મન સરમુખત્યાર કોણ હતો ?
જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર હતો. -
(3) ઇટાલીના સરમુખત્યારનું નામ આપો.
ઇટાલીના સરમુખત્યારનું નામ બેનિટો મુસોલિની હતું. -
(4) દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો.
દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જર્મનીનું પોલૅન્ડ પર આક્રમણ (1 સપ્ટેમ્બર, 1939) હતું. -
(5) સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે ?
સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ન્યૂયૉર્કમાં આવેલ છે. -
(6) ‘ઠંડું યુદ્ધ' એટલે શું ?
દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ અમેરિકા અને સોવિયત રશિયાના પરસ્પર વિરોધી જૂથો વચ્ચેના વાક્ યુદ્ધો અને વિચાર યુદ્ધોએ શસ્ત્ર વગરના જે તણાવપૂર્ણ વાતાવરણનું સર્જન કર્યું તેને 'ઠંડું યુદ્ધ' કહે છે.
૫. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
-
(1) જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો ?
(A) હિટલર -
(2) વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે ?
(A) WHO -
(3) નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો :
(D) મુસોલિનીએ ઈટાલીમાં ફાસીવાદની સ્થાપના કરી.
આ પ્રકરણનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે.