સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 16 રાજ્ય સરકાર : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 16 રાજ્ય સરકાર : સ્વાધ્યાય


1. ખાલી જગ્યા પૂરો :

  • (1) ગુજરાતની વિધાનસભામાં સભ્યસંખ્યા ............ છે.

    182
  • (2) રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને ............ કહે છે.

    વિધાનપરિષદ
  • (3) ગુજરાતની વિધાનસભા ભવનનું નામ ............ છે.

    વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન
  • (4) વિધાનસભાની ચૂંટણી દર ............ વર્ષે થાય છે.

    પાંચ
  • (5) દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ............ યોજના છે.

    108

2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

  • (1) મુખ્યમંત્રી અમૃતમ્ (મા) યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે.

    ખોટું
  • (2) દિલ્લી રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે.

    ખોટું
  • (3) વિધાનસભાને નીચલું ગૃહ પણ કહેવાય છે.

    ખરું
  • (4) ઉત્તરપ્રદેશમાં વિધાનપરિષદ છે.

    ખરું
  • (5) વિધાનસભા કાયમી ગૃહ છે.

    ખોટું

3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

  • (1) ખરડો કાયદો ક્યારે બને છે?

    ખરડો વિધાનસભામાં રજૂ થયા બાદ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે અને રાજ્યપાલની મંજૂરી મળતાં તે કાયદો બને છે.
  • (2) રાજ્ય સરકારનાં અંગો જણાવો.

    રાજ્ય સરકારનાં ત્રણ મુખ્ય અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર.
  • (3) મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે?

    રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે.
  • (4) વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પુછાય છે?

    વિધાનસભામાં વિધાનસભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પ્રશ્નો પૂછી શકે છે.
  • (5) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે?

    રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે.

4. ટૂંક નોંધ લખો :

  • (1) રાજ્યપાલનાં કાર્યો

    રાજ્યપાલ એ રાજ્યના બંધારણીય અને કારોબારીના વડા છે, જેની નિમણૂક રાષ્ટ્રપતિ પાંચ વર્ષ માટે કરે છે. તેમના કાર્યોમાં વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવી, મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક કરવી, વિધાનસભાની બેઠકો બોલાવવી અને જરૂર પડે તો વિધાનસભાને વિખેરી નાખવી, વટહુકમ બહાર પાડવો, રાજ્યના એડ્વોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક કરવી અને વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને તેને કાયદાનું સ્વરૂપ આપવું મુખ્ય છે. તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહીને રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે.

  • (2) જાહેર સ્વાસ્થ્ય સેવાઓ

    જાહેર સ્વાસ્થ્ય સેવાઓનો ઉદ્દેશ રાષ્ટ્રના નાગરિકોનું સ્વાસ્થ્ય જાળવવાનો છે. આ સેવાઓ જાહેર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક સારવાર કેન્દ્રો, ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો અને મોટા શહેરોમાં સિવિલ હોસ્પિટલો દ્વારા પૂરી પાડવામાં આવે છે. બાળકો માટે રસીકરણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, કુટુંબકલ્યાણના કાર્યક્રમો, ખાદ્યપદાર્થોમાં ભેળસેળ પર અંકુશ અને જીવલેણ રોગો સામે રક્ષણ જેવાં કાર્યો દ્વારા લોકોની સુખાકારી વધારવામાં આવે છે. તાત્કાલિક સારવાર સેવાઓ માટે 108ની સુવિધા પણ ઉપલબ્ધ છે.

  • (3) મુખ્યમંત્રીનાં કાર્યો

    મુખ્યમંત્રી રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતા તરીકે નિયુક્ત થાય છે. તેઓ મંત્રીમંડળની બેઠકો બોલાવે છે અને દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખી માર્ગદર્શન પૂરું પાડે છે. મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે. તેઓ મંત્રીમંડળના મંત્રીઓને જુદા-જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે અને જરૂર પડે મંત્રીમંડળની પુનઃરચના પણ કરે છે. મુખ્યમંત્રી નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે. તેઓ રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે.

  • (4) વિધાનસભાની રચના

    ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહિ. વિધાનસભાના સભ્ય બનવા માટે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહિ. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. વિધાનસભા કાયમી ગૃહ નથી અને તેની મુદત પાંચ વર્ષની હોય છે.


5. નીચેના પ્રશ્નોનાં ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર આપો :

  • (1) રાજ્ય સરકારનાં કાર્યો જણાવો.

    ભારતમાં સમવાયતંત્રની શાસન-વ્યવસ્થા હોવાથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન થયેલું છે. રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે. રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોકકલ્યાણ કરવાનું છે. તે રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો જેવી કે વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને સ્વાસ્થ્યને લગતાં કાર્યો કરે છે. તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ખાદ્યસામગ્રીનું વિતરણ કરે છે, કુદરતી આપત્તિઓ વખતે લોકોને સહાય પૂરી પાડે છે અને ન્યાયની વ્યવસ્થા, વાહનવ્યવહાર અને શિક્ષણ સંસ્થાઓ જેવી સુવિધાઓ પૂરી પાડે છે.

  • (2) નાગરિકના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર ક્યાં કાર્યો કરે છે?

    રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય માટે વિશેષ આયોજનો કરે છે. તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે. ઓરી, અછબડા, પોલિયો જેવા રોગોના નિયંત્રણ માટે રસીકરણ કાર્યક્રમો ચલાવે છે. દારૂબંધી અને ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ રાખે છે. તાત્કાલિક સેવાઓ માટે 108ની યોજના અને સ્વચ્છતા અભિયાનનું સંચાલન કરે છે. જનઔષધિ કેન્દ્રો દ્વારા સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ કરે છે અને મલેરિયા, કમળો, કોઢ, અંધત્વ, મધુપ્રમેહ, ક્ષય, કેન્સર જેવા રોગો પર નિયંત્રણ લાવવા માટે આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે.

  • (3) વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો.

    વિધાનસભાના સભ્ય બનવા માટે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહિ. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહિ.

  • (4) રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે?

    રાજ્યની કારોબારી એ રાજ્ય સરકારનું મહત્ત્વનું અંગ છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ (ગવર્નર), મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં થાય છે. મંત્રીમંડળને 'રાજકીય કારોબારી' અને વહીવટી અધિકારીઓને 'વહીવટી કારોબારી' કહેવામાં આવે છે.

  • (5) રાજ્યની કારોબારીની ફરજો લખો.

    રાજ્યની કારોબારીની મુખ્ય ફરજોમાં વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવવો, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખવી, રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરવો, રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરવું, શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડવી, અને નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરવું, અને સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખવી મુખ્ય છે.